હરિવર મૂક્યો કેમ જાય?
હરિવર મૂક્યો કેમ જાય? સાહેલી, હવે હરિવર મૂક્યો કેમ જાય? નંદકુંવર સાથે નેડલો બંધાયો, પ્રાણ ગયે ન છુટાય … સાહેલી હવે.
ઘેલી કીધી મને ગોકુળના નાથે, મોરલીના શબ્દ સુણાય, બાલા રે પણથી પ્રીતિ બંધાઈ, હૈયાથી કેમ વિસરાય? … સાહેલી હવે.
મૈયર તજ્યું ને તજ્યું સાસરિયું, ત્યાગ્યાં છે સર્વ સગાંય, બાંહ્ય ગ્રહ્યાની લાજ રાખજો દયાળુ, સ્નેહીને દુઃખ ન દેવાય. … સાહેલી હવે.
આ અવસર હરિ આવી મળો, તો વ્રેહનો અગ્નિ ઓલાય, બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, દર્શન દ્યો વ્રજરાય. … સાહેલી હવે.
– મીરાંબાઈ