અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી
તીરથ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કરમ રે, એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી
હરિમય જ્યારે આ જગતને જાણ્યું ત્યારે પ્રપંચથી રહેવું દુર રે, મોહ સઘળો પછી છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી
મંડપ ને મેળા પછી કરવા નહીં એ છે અધૂરિયાનાં કામ રે, ગંગા સતી એમ બોલિયા પાનબાઈ ભાળવા હોય પરિપૂર્ણ રામ રે …. અભ્યાસ જાગ્યા પછી
– ગંગા સતી