આવો તો રામરસ પીજીએ
આવો તો રામરસ પીજીએ હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.
તજી દુઃસંગ સત્સંગમાં બેસી, હરિગુણ ગાઈ લહાવો લીજીએ … હો ભાગ્યશાળી.
મમતાને મોહજંજાળ જગ કેરી, ચિત્ત થકી દૂર કરી દીજીએ … હો ભાગ્યશાળી.
દેવોને દુર્લભ દેહ મળ્યો આ, તેને સફળ આજ કીજીએ … હો ભાગ્યશાળી.
રામનામ રીઝીએ, આનંદ લીજીએ, દુર્જનિયાંથી ન બ્હીજીએ … હો ભાગ્યશાળી.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, હેતે હરિરંગ ભીંજીએ … હો ભાગ્યશાળી.
– મીરાંબાઈ