સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો, ને રાખજો રૂડી રીત રે, અજાણ્યા સાથે વાત નવ કરજો, ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ.
આગળ ઘણાં મહાત્મા થઈ ગયા ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે, એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો ને ઉપજાવે અંતરમાં ખેદ રે … સ્થિરતાએ
લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું, ને આસક્ત છે વિષયમાંય રે, એવાને ઉપદેશ કદી નવ કરવો ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે … સ્થિરતાએ.
ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને ચુકવો નહિ અભ્યાસ રે, ગંગા સતી રે એમ બોલિયાં રે, ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે … સ્થિરતાએ.
– ગંગા સતી