વ્હાલણાં રે વાયાં, જશોદાના કુંવર
જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા.
પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી, સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી.
પંખીડાં બોલે રે, વહાલા ! રજની રહી થોડી, સેજલડીથી ઊઠો, વહાલા ! આળસડી મોડી.
સાદ પાડું તો વ્હાલા ! લોકડિયાં જાગે, અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે.
જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે, નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે.
– નરસિંહ મહેતા