ગાંધીને પગલે પગલે
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા; પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા. અશોકધર્મલિપિથી ઉર પાવન; જિનવર-શિષ્યોની મનભાવન. સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ? ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે, મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે. મસ્જિદ મંદિર વાવ તોરણે લચે રમ્યતા તવ વને-રણે. બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ? ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
– ઉમાશંકર જોશી